ભારતના 307 રનના લક્ષ્યાંક સામે ન્યુઝીલેન્ડે 3 વિકેટે 308 રન કર્યા
ન્યુઝીલેન્ડના ટૉમ લેથમે 104 બોલમાં 145 રન ફટકાર્યા
ઓકલેન્ડ, તા.25 નવેમ્બર 2022, શુક્રવાર
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી ત્રણ મેચોની પ્રથમ મેચ આજે ઓકલેન્ડમાં રમાઈ હતી, જેમાં ભારતનો ન્યુઝીલેન્ડ સામે 7 વિકેટે પરાજય થયો છે. ભારતીય ટીમે ન્યુઝીલેન્ડની ટીમ સામે મોટો સ્કોર કર્યો હતો, તેમ છતાં ન્યુઝીલેન્ડ ટીમની શ્રેષ્ઠ બોલીંગ અને બેટીંગના કારણે તેની જીત થઈ છે. આ મેચમાં ભારતી ટીમે ન્યુઝીલેન્ડને જીતવા 307 રનનું લક્ષ્યાંક આપ્યું હતું. તો ન્યુઝીલેન્ડની ટીમે 47.1 ઓવરમાં 3 વિકેટે 308 રન જીત હાંસલ કરી લીધી હતી.
ટૉમ લેથમની ધમાકેદાર બેટીંગ
ન્યુઝીલેન્ડના ખેલાડી ટૉમ લેથમે ધમાકેદાર બેટીંગ કરી હતી. તેણે 104 બોલમાં 145 રન ફટકાર્યા હતા. આ મેચમાં તેણે 5 સિક્સ અને 19 ફોર ફટકારી હતી. તો ન્યુઝીલેન્ડના સુકાની કેન વિલિયમસને પણ તેની સુકાની તરીકે જવાબદારી નિભાવી 94 રન ફટકાર્યા હતા. વિલિયમસન માત્ર 6 રન માટે સદી ચુક્યો હતો.
ભારતના 3 ખેલાડીએ ફટકારી ફિફ્ટી
ભારત તરફથી કેપ્ટન શિખર ધવને પણ તેની સુકાની તરીકે જવાબદારી સંભાળી 72 રન ફટકાર્યા હતા. તો શુભમન ગીલે 50 રન અને શ્રેયસ અય્યલે 80 રન ફટકાર્યા હતા. જોકે આ મેચમાં વોશિંગ્ટન સુંદર પણ છવાયો હતો. વોશિંગ્ટન સુંદરે અંતિમ ઓવરમાં માત્ર 16 બોલમાં 37 રન ફટકાર્યા હતા. સુંદરે ત્રણ સિક્સ અને ત્રણ ફોર ફટકારી મહત્વનું યોગદાન આપ્યું હતું.
ન્યુઝીલેન્ડના બોલરો પણ છવાયા
આ મેચમાં ન્યુઝીલેન્ડના બોલર ટીમ સાઉથી અને લ્યુસ્કી ફોર્ગ્યુસે પણ શ્રેષ્ઠ બોલીંગ કરી હતી. આ બંને ખેલાડીઓએ 3-3 વિકેટ ઝડપી હતી, તો એડમે એક વિકેટ ઝડપી હતી.
ભારતીય બોલરોનું ફરી ખરાબ પ્રદર્શન
ભારતીય ટીમ તરતફથી એક માત્ર ઉમરાન મલીકે બે વિકેટ ઝડપી હતી તો શાર્દુલ ઠાકુરે 1 વિકેટ ઝડપી હતી. જ્યારે અન્ય બોલરો ન્યૂઝીલેન્ડની ટીમ સામે નિષ્ફળ રહ્યા હતા.
ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી વન-ડે રવિવારે
દરમિયાન ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ વન-ડે શ્રેણીની બીજી મેચ 27મી નવેમ્બરે રવિવારે રમાશે. આ મેચ હેમિલ્ટનમાં રમાશે. આજની મેચમાં હાર સાથે જ ન્યુઝીલેન્ડની ટીમ શ્રેણીમાં 1-0થી આગળ થઈ ગયું છે. ભારતે શ્રેણી જીતવા માટે આગામી બંને મેચ જીતવી જરૂરી છે.